ગુજરાતના પવિત્ર યાત્રાધામોના વિકાસ સંદર્ભે યોજવામાં આવેલી સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય 8 પવિત્ર યાત્રાધામ, 28 અન્ય મહત્વના યાત્રાધામો અને 358 જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિવિધ વિકાસ કામોની પ્રગતિ તથા આગામી આયોજન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.
ગાંધીનગરમાં ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રવાસન સચિવ હરિત શુક્લાએ મુખ્ય પ્રધાનને વિગતો આપતા જણાવ્યું હતું કે, રૂ. 334 કરોડના ખર્ચે 64 યાત્રાધામોમાં વિકાસ પ્રોજેક્ટસ મંજૂર કરવામાં આવેલા છે તે પૈકી રૂ. 152.55 કરોડના ખર્ચે ર૬ કામો પ્રગતિ હેઠળ છે. અન્ય 38 કામો માટે મળેલી મંજૂરી સંદર્ભે રૂ. 177.80 કરોડના કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે.
ગુજરાતના બહુચરાજી, માતાનો મઢ, અંબાજી, દ્વારકા, પાવાગઢ, માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થ જેવા પવિત્ર યાત્રાધામોનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, માતૃતર્પણ તીર્થ ક્ષેત્ર ગણાતા સિદ્ધપૂર તથા અનુસૂચિત જાતિ – જનજાતિના આસ્થાના કેન્દ્ર સમા સ્થાનકોના સર્વાંગી વિકાસ માટે પણ નાણાંની જોગવાઈ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના અનુસાર અંબાજીમાં ગબ્બરની આસપાસ 51 શક્તિપીઠના સ્થાનકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 51 શક્તિપીઠનો ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ પણ આગામી દિવસોમાં યોજવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતના યાત્રાધામોને સૌર ઊર્જાથી પ્રકાશિત કરીને વીજ ખર્ચની બચત માટેની જે પહેલ ગુજરાત દ્વારા કરવામાં આવેલી છે તે મુજબ 349 ધાર્મિક સ્થાનોમાં આવી સિસ્ટમ કાર્યરત છે. જેના પરિણામે વાર્ષિક લગભગ 3 કરોડ રૂપિયા જેટલી વીજ ખર્ચની બચત થાય છે
તદઉપરાંત કંથારપૂર ઐતિહાસિક વડના રૂ. 6 કરોડના વિકાસ કામો, માધવપૂરમાં રૂ. 48 કરોડના વિકાસ કામો, માતાના મઢ ખાતે રૂ. 32 કરોડના વિકાસ કામો અંગે પણ વિસ્તૃત વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં સૂચન કર્યુ હતું. તો વિવિધ તીર્થ સ્થાનોના દર્શનનો લાભ આપવા રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોના લાભાર્થે શરૂ કરેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ અત્યાર સુધીમાં 1 લાખ 18 હજાર યાત્રાળુઓએ લીધો હોવાનું પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પ્રવાસન-યાત્રાધામ સચિવ હારિત શુકલા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ વગેરે અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને મુખ્યપ્રધાનને વિસ્તૃત વિગતોથી અવગત કર્યા હતાં.