ભારતને આઝાદ થયાને ૭૫ વર્ષ પૂર્ણ થયા હોવાથી સરકાર દ્વારા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના બળવત્તર બને એ માટે આઝાદીના ૭૫ વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. માત્ર ઉજવણી જ નહિ, પણ સાથે જ દેશના વિકાસ અને સંસાધનોના સંરક્ષણ માટે સંકલ્પ સ્વરૂપે કેટલીક આગવી પહેલ પણ હાથ ધરવામાં આવી રહી છે. “અમૃત સરોવરોનું નિર્માણ” એ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાથ ધરાયેલી એવી જ એક મહત્વપૂર્ણ પહેલ છે.
દર વર્ષે ઉનાળો જામે અને તેની કાળઝાળ ગરમીના કારણે પાણીના વિવિધ સ્ત્રોત ખાલી થઇ જતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પાણીની સમસ્યાથી ઝઝુમતા હોય છે. વળી પાછા જમીની પાણીના સ્તર ઊંડા થતા જાય એ સમસ્યા તો ખરી જ. દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઉદભવતી પાણીની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જમીની પાણીના સ્તર ઊંચા લાવવા આઝાદીના અમૃત વર્ષમાં કેન્દ્ર સરકારે “અમૃત સરોવર પ્રોજેક્ટ” અમલમાં મૂક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી શરુ થયેલી આ પહેલ હેઠળ દેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવો પસંદ કરીને તેને ‘અમૃત સરોવર’ તરીકે વિકસાવવા માટે તેમણે આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને ગુજરાતના તમામ જિલ્લાઓએ ઝીલી લઈ મિશન મોડમાં કામગીરી શરુ કરી. જેના પરિણામે ગુજરાતમાં ૬૫૦ કરતા પણ વધારે અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું અને અનેક અમૃત સરોવરોને વિકસાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. ગુજરાતનો અરવલ્લી જિલ્લો અમૃત સરોવરના નિર્માણમાં નોંધપાત્ર કામ કરી રહ્યો છે. અરવલ્લી જિલ્લાએ ૭૫ નહિ પણ ૮૦ અમૃત સરોવરો વિકસાવવાનું બીડું ઉપાડ્યું છે. સરાહનીય બાબત તો એ છે કે, ગત ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ના શુભ દિવસે અરવલ્લીના તૈયાર થઇ ગયેલા ૨૦ અમૃત સરોવર ઉપર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેની સંખ્યા હાલમાં વધીને ૨૭ સુધી પહોંચી છે અને હજુ પણ ૫૩ સરોવરને વિકસાવવાનું કામ પ્રગતિમાં છે.
અરવલ્લી જિલ્લાના અમૃત સરોવરની વાત આવે ત્યારે ધનસુરા ગામના અમૃત સરોવરની યાદ સૌપ્રથમ આવે એમાં બેમત નથી. ધનસુરાનું આ અમૃત સરોવર દેશમાં નિર્માણ પામેલા વિશાળ અમૃત સરોવરમાંનું એક છે. આશરે ૩૭.૬૭ એકર જેટલા વિસ્તારમાં નિર્માણ પામેલા આ સરોવરની ક્ષમતા ૧૫૯ લાખ લીટરથી પણ વધુ છે. ગત સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૃત સરોવરની મુલાકાત લીધી હતી અને કામગીરીને બિરદાવી હતી. એ જ દિવસે ૧૫મી ઓગષ્ટની ઉજવણી માટે ધનસુરા ગામના અનેક લોકો આ અમૃત સરોવરની આસપાસ એકઠા થયા હતા અને દેશની સેનામાંથી નિવૃત થયેલા વીર જવાન નરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ત્યાં પ્રથમવાર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
ધનસુરા ગામમાં અમૃત સરોવરનું નિર્માણ થતા ઉનાળા ઉપરાંત પણ તેની આજુ-બાજુમાં આવેલા બાગ-બગીચાઓને અને ખેતરોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું થયું છે. આ તળાવને ઊંડું કરાતા હવે તેમાં પાણીનો સંગ્રહ વધતા પીવાના પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે. સાથે સાથે આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવતા બોર અને કુવા જેવા પાણીના સ્ત્રોતમાં પાણીની આવક વધી છે. અમૃત સરોવરનું બ્યુટીફીકેશન અને ફરતી બાજુ વૃક્ષોના વિવિધ પ્રજાતિના અનેક વૃક્ષોના વાવેતરથી સરોવરની રોનકમાં વધારો થયો છે.
વડાપ્રધાન મોદીએ કરેલી એક હાકલના પરિણામ સ્વરૂપ વિકસિત થયેલા આ એક અમૃત સરોવરથી જ નાગરિકોને જો આટલો લાભ મળ્યો હોય, તો વિચારવું જોઈએ કે દેશભરના દરેક જિલ્લામાં જ્યારે ૭૫-૭૫ અમૃત સરોવરનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે દેશવાસીઓને તેનો કેટલો લાભ મળશે. ભારતના અમૃતકાળને ઉજવવા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં અત્યારસુધીમાં અનેક અમૃત સરોવર તૈયાર થયા છે અને હજુ પણ નવા સરોવારો તૈયાર થઇ રહ્યા છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી આગામી સમયમાં પાણીના પ્રશ્નનો ઉકેલ આવશે.