વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે, પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે એને પોતાની લીલાભુમી અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે. વડતાલ ગામ વ્રતપુરી, વ્રતાલય અને વૃતાલય, વરતાલ એવા વિધવિધ નામે ઓળખાતું હતું.એક ઈતિહાસ એવું પણ કહે છે કે ગામની આજુબાજુ મોટા તળાવો (વડ એટલે મોટું અને તાલ એટલે તળાવ) આવેલા હતા એ કારણે ગામનું નામ વડતાલ પડેલું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું વૃંદાવન : વડતાલ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજકીય અને ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ કહી શકાય એવા ઘણા ગામો અને શહેરો છે. એ સ્થળોની સરખામણીમાં વસ્તી, વેપાર, વ્યવહાર, શિક્ષણ, સંપતિ વગેરે દ્રષ્ટિએ વડતાલ તો એક નાનું ગામ ગણાય. પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે એ બધા સ્થળોમાં એક માત્ર વડતાલને પ્રીયાતિપ્રીય સ્થાન ગણીને ‘તીર્થોમાં શિરોમણી મોટું ધામ’ બનાવેલું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયમાં ઘણા સ્થળોએ ઘણા ઉત્સવો ઉજવ્યા છે પણ જો કોઈ સ્થળે વર્ષના બધા જ ઉત્સવો ઉજવ્યા હોય તો તેવું સ્થળ સંપ્રદાયમાં માત્ર એક જ – વડતાલ. પછી રંગદોલોત્સવ હોય કે પુષ્પદોલોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે.
વડતાલ મંદિર : થોડી જાણવા જેવી વિગતો
ભગવાન શ્રી સ્વામીનારાયણે સંપ્રદાયમાં જો કોઈ સ્થળે મંદિર બાંધવા માટે જગ્યા જાતે જોઈને પસંદ કરી હોય, મંદિર અને એના અંગભૂત મકાનોની યોજના જાતે તૈયાર કરી હોય અને આશ્રિતોને સમજાવી હોય, મંદિરનું ચિત્ર એટલે નકશો જાતે તૈયાર કરાવીને પસંદ કર્યો હોય, મંદિરના ખાતમુહૂર્તની વિધિ જાતે કરી હોય, મંદિરના બાંધકામ માટે જાતે માથે ઇંટો અને ચૂનાના તગારા ઉપાડયા હોય, મંદિરના બાંધકામની કાર્યવાહી ઉપર જાતે દેખરેખ રાખી હોય.
મંદિરમાં પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવીની મૂર્તિ, પોતાની મૂર્તિ(હરિકૃષ્ણ મહારાજ) સાથે પહેલવહેલી પધરાવી હોય, તે સાથે જ પોતાના બીજા લીલાસ્વરૂપો અને અવતારોની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા કરી હોય અને જાતે આરતી ઉતારી હોય એવું મંદિર જો કોઈ હોય તો તે એક માત્ર વડતાલ જ છે. એક ઈતિહાસ પ્રમાણે મંદિરના પાયામાં નવ લાખ ઇંટો પુરવામાં આવેલી છે.
વડતાલ મંદિર સોનાના વરખથી મઢવામાં આવેલું છે. મંદિરના બધા જ શિખરો, ઘુમ્મટો અને મંદિરના દ્વાર સોનાના વરખથી મઢવામાં આવેલું છે. મંદિર પરિસરનો પ્રવેશદ્વાર ખુબજ વિશાળ અને કલાત્મક આકૃતીવાળો છે. મંદિરમાં મુખ્ય દ્વાર એક અને અન્ય બે દ્વાર રાખવામાં આવેલ છે જેથી કારની પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ દર્શન કરીને બહાર નીકળી શકે.
મદિરમાં મુખત્વે શ્રી નારાયણ, લક્ષ્મીજી અને રણછોડરાયની ખુબજ સુંદર મૂર્તિ પધરાવામાં આવેલ છે. આ બધી મૂર્તિઓનો રોજ રોજ અલગ શણગાર કરવામાં આવે છે. મંદિરની પાછળની બાજુ ખુબજ વિશાળ સભામંડપ આવેલો છે. કાષ્ઠકલાના સ્તંભથી સભામંડપ બનાવવામાં આવેલો છે. મંદિર પરિસરની ચોતરફ કળાત્મક ઝરૂખાઓ સ્થાપિત કરેલા છે.
વડતાલ ધામના પ્રસાદીના સ્થળોની યાદી
- ગોમતીજી તળાવ
- રઘુવીરવાડી (આચાર્ય નિવાસ)
- જ્ઞાનબાગ
- સુંદરપગીનો કુવો અને ગંગાજળીયો કુવો
- વડેઉ માતાજીનું મંદિર
- જોબનપગીની મેડી
- ઘેલા હનુમાનજી
વડતાલ મંદિરમાં સૌથી વધારે દર્શનાર્થીઓ પુનમના દિવસે વધારે આવે છે. મંદિરમાં રહેવા ઉતરવા માટે સુંદર અધતન રૂમો બનાવવામાં આવેલ છે. મંદિરમાં જમવા માટે ખુબ જ આધુનિક ભોજનગૃહ બનાવવામાં આવેલ છે અને દર્શનાર્થીઓ દિવસ ના કોઈ પણ સમયે નિશુલ્ક ભોજન લઇ શકે છે.. લોકોને સૌથી વધારે મનપસંદ હોય તો એ છે વડતાલ મંદિરમાં મળતી મગસના લાડુની પ્રસાદી. આ લાડુનો સ્વાદ તમને દુનિયામાં કોઈ જગ્યા એ નહિ મળે. મંદિર ની બહાર મળતા આથેલા મરચા પણ ખુબ જ પ્રખ્યાત છે.
વડતાલ ટ્રસ્ટ તરફથી સમાજસેવી અભિયાન ચાલવામાં આવે છે જેમ કે વ્યસનમુક્તિ, સ્વચ્છતા અભિયાન વગેરે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ માં વિનામૂલ્યે કોઈ પણ સારવાર આપવામાં આવે છે. રાજ્યમાં કે દેશમાં કોઈ કુદરતી આફત આવી હોય તો મદદ કરવા માટે વડતાલ ટ્રસ્ટ સૌથી અગ્રેસર હોય છે.
વડતાલ સ્વામિનારાયણ ભગવાનને અતિ પ્રિય હતું. તેથી વડતાલવાસીઓ પર ખુશ થઇ ને વરદાન આપેલું કે આ ચરોતર પ્રદેશ મને અતિ પ્રિય છે તેથી આ પ્રદેશ ક્યારે પણ સુકો નહિ પડે. આપડે આજે પણ જોઈએ છે કે ચરોતર પ્રદેશ હમેંશા લીલો જ જોવા મળે છે.
તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈએ જાહેરાત કરતાં જણાવ્યું કે, વડતાલને રાજ્યના પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવી લેવામાં આવશે. તો અંતમાં સૌ મિત્રોને મારા જય સ્વામિનારાયણ.